Wednesday 6 April 2022

બા તું જ છો જ્યોતિધામ

 બા તું જ છો જ્યોતિધામ

કવિ - કરશનદાસ માણેક

 (મંદાક્રાન્તા)

  મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં

  ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં

  અંધારામાં  દ્યુતિ કિરણ  એકાર્ધ  યે  પામવાને

  મંદિરોનાં પથ્થર  પૂતળાં  ખૂબ  ઢંઢોળી જોયાં

  સન્તો  કેરા  કરગરી  કરી પાદ પ્રક્ષાલી જોયાં

  એકાન્તોના  મશહુર  ધનાગાર  ઉઘાડી  જોયાં

  ઊંડે  ઊંડે  નિજ મહીં સર્યો  તેજકણ કામવાને

  વિશ્વે વન્દ્યા અન્ય સકલ ભંડાર મેં ખોલી જોયાં

  ને આ  સર્વે ગડમથલ  નિહાળતાં  નેણ તારાં

  વર્ષાવતાં  મુજ   ઉપર  વાત્સલ્ય પીયૂષધારા

  તેમાં  ન્હોતો  રજપણ  મને  ખેંચવાનો પ્રયાસ

  ન્હોતો તેમાં અવગણનનાં દુ:ખનો  લેશ  ભાસ

  જ્યોતિ  લાધે  શિશુને  ફક્ત  એટલી   ઉરકામ

  મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ

–કરસનદાસ માણેક


No comments:

Post a Comment